સમજદારીથી અળગા થઈ જવાનાં
Dec 02
ગઝલ Comments Off on સમજદારીથી અળગા થઈ જવાનાં
સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?
ખુદા! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે…
ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?
રાજા દેતો નથી એ પાપીઓને એટલા માટે,
મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે?
ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે?
તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે?
રહે છે આમ તો શયતાનના કબજા મહીં તો પણ,
‘જલન’ ને પૂછશો તો કેહેશે એ બંદા ખુદાના છે…
-જલન માતરી
સ્વર: દિપ્તી દેસાઇ
સ્વરાંકન :ગૌરાંગ વ્યાસ