એમ કંઈ અમથા જ હું હસતો નથી.
એ વિના બીજો કશો રસ્તો નથી!

મૃત્યુનો ઢીંકો પડે તો કામ થાય;
જિંદગીનો ઘોબો ઉપસતો નથી!

કોઈ પણ ખાતું નથી મારી દયા,
સાપ જેવો સાપ પણ ડસતો નથી!

સાવ સામે છું છતાં એ ના જુએ,
આ તમાચો એક તસતસતો નથી?

ગમતું સૌ મળવાથી એ ત્રાસ્યો હશે,
એટલે ચિરાગને ઘસતો નથી!
 
~અનિલ ચાવડા