રોજ કોઈ ઝંખના મનને છળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

થાકને પડખામાં રાખી સૂઈ રહો,
ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.

પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.
 
– પ્રણવ પંડ્યા
 
સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી