અર્થના કુંડાળાંમાં અટવાય છે
Apr 02
ગઝલ Comments Off on અર્થના કુંડાળાંમાં અટવાય છે

અનંત વ્યાસ
અર્થના કુંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
જે ખરેખર બ્હારથી દેખાય છે,
એ કશે ના હોય છે, ના થાય છે.
તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશા થાય છે.
કોણ જાણે શું હવે દઈને જશે?
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે.
આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?
બહુ ભરોસો રાખશો ના વાત પર,
જિંદગી નામે અહીં અફવા ય છે.
આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે.
હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.
-હિમલ પંડ્યા
સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ