હર્ષદ ત્રિવેદી
Nov 25
ગઝલ Comments Off on હર્ષદ ત્રિવેદી
સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા મૃગ માયાવી હશે !
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?
હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !
છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !
– હર્ષદ ત્રિવેદી