શું ખોલું ? શું મુંદુ નેણાં ?
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !

કનક-જવાહીર લગીર ન ચાહું
મનસા મુક્તિ વિષય નિરીચ્છ
બહુ બડભાગી મળે મુકુટમાં,
સ્થાન જરા થઈ રહેવા પિચ્છ

હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં !
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !

હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
વલ્લભ પરસ ભયો હિતકારી
‘સૂર’: કહાં પાઉ, કયા ગાઉ ?
જનમ જનમ જાઉં બલિહારી

રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં !
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !

– સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ