અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !

~જગદીશ જોષી

સ્વર : હેમા દેસાઈ