મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કલકોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે !

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો;
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂઝતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નિપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઉપજતું હોય છે!

-રાજેન્દ્ર શુક્લ

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી