પ્રણયની પારખુ દૃષ્ટિ
Apr 23
ગઝલ Comments Off on પ્રણયની પારખુ દૃષ્ટિ
એ સામે હોત ને અગર બીડાઈ ગઈ હોતે,
તો મારા સ્વપ્ન રૂપે ભાગ્યદેવી જાગતી હોતે
ફરી તાપી કિનારે જો મહોબ્બત લઈ ગઈ હોતે,
તે એ નિર્મળ નદીના જળ ઉભયની આરસી હોતે
પ્રણયની પારખુ દૃષ્ટિ અગર તમને મળી હોતે,
તમે મારી છબી ભીતે નહીં, દિલમાં જડી હોતે.
મજા આવી હતી જો આટલી દિવાનગી હોતે,
કે મારી દૃષ્ટિમાં આખું જગત તારી ગલી હોતે.
જવાબ એના રૂપાળા આવશે જો ખાતરી હોતે,
તે મેં પણ કં’ક દિલની વાત ગઝલોમાં કહી હોતે.
મહોબ્બત આંધળી છે એ કહેવત સાવ ખોટી છે,
તમારા દ્વાર પર ના હોત જો એ આંધળી હોતે.
જગતમાં પણ કરી લેતે ફરીશ્તા એને સજદાઓ
જો સાચા અર્થમાં આદમી નો વારસ આદમી હોતે.
ઘણા પ્રેમી દિલો નું થાત સર્જન એવી માટી થી,
તમે આંસુ થી જે મારી અકબરને ભીંજવી હોતે
જો મડતે તારી ઝુલ્ફો નો સહારો મારી રાતોને,
તો મારા પણ જીવનમાં ચાંદ હોતે, ચાંદની હોતે.
કરી દેતે અદબથી આ ગઝલ હું એમને અર્પણ,
સભામાં આજ “શયદા”ની જો “આસિમ” હાજરી હોતે.
કનૈયા થી ય કઈ ન્યારી પ્રણય લીલા તમે જોતે
કલમ બદલે અગર “આસિમ” ના કરમાં બંસરી હોતે.
-આસિમ રાંદેરી
સ્વર : મનહર ઉધાસ
સ્વરાંકન : મનહર ઉધાસ