સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું,
આંખની સામે જે ચહેરો હતો.
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું .

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી ૨હ્યાં.
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની બ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી .
કંઠમાં અધવચ્ચે અટકયું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી .
કયારનો ઉજાગરાનો દીવો બળે છે :
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

-પન્ના નાયક

સ્વરઃ પૌરવી દેસાઈ
સ્વરાકંન : ક્ષેમુ દિવેટિયા