આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક  મોડી  સાંજે બે  માણસ  ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ  લખ્યો એક  વાક્યમાં,
ઇચ્છાનું એવું  છે  કે  ફળે  યા ન પણ  ફળે.

વંઠી    ગયેલો   ગાંધીજીનો    વાંદરો  હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું  સાંભળે.

એક જ  રીતે ગુમાવેલ  માણસ  ફરી   મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો  આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો  સિવાય,
વહેતા  પવનને  ક્યાંય  ઉતારો  નહીં  મળે.

બીજાઓ વાંચે  તો  ય  અદેખાઇ  આવશે,
ચીતરું નહીં  હું નામ તારું કોઇ પણ સ્થળે…..

-મુકુલ ચોક્સી

સ્વર : રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ રાસબિહારી દેસાઈ