હર્ષદ ત્રિવેદી

Comments Off on હર્ષદ ત્રિવેદી

સોગઠી  મારી   અને તારી, નિકટ  આવી  હશે,
એ  ક્ષણે  નાજુક રમતને  મેં  તો ગુમાવી  હશે.

ના  ઉઘાડેછોગ   નહીંતર  આમ  અજવાળું ફરે,
કોઈએ   ક્યારેક   છાની  જ્યોત પ્રગટાવી  હશે.

હાથમાંથી   તીર   તો   છૂટી  ગયું  છે ક્યારનું,
શું થશે, જો  આ પ્રતીક્ષા  મૃગ  માયાવી  હશે !

આપણે   હંમેશ   કાગળનાં   ફૂલો   જેવાં રહ્યાં,
તો  પછી  કોણે  સુગંધી  જાળ  ફેલાવી   હશે ?

હું  સળગતો  સૂર્ય લઈને જાઉં  છું મળવા  અને,
શક્ય  છે  કે એણે ઘરમાં સાંજ  ચિતરાવી  હશે !

છેવટે   વ્હેલી   સવારે  વૃક્ષ   આ   ઊડી   શક્યું
પાંખ   પંખીઓએ   આખી   રાત  ફફડાવી  હશે !

– હર્ષદ ત્રિવેદી

અશરફ ડબાવાલા

Comments Off on અશરફ ડબાવાલા

માએ  મનને  ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ  અમને  તેડાવ્યાં  શબદચોકમાં  રે!

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને  રમતા  મેલ્યા છે  ગામલોકમાં રે!

મારું  ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું  છલકે   ને  હરખ  ઊડે  છોળમાં રે!

પહોંચું  પહોંચું  તો  ઠેઠના ધામે  હું કેમ?
લાગી  લાગીને  જીવ  લાગ્યો પોઠમાં રે!

રહે   જાતરા  અધૂરીને ને  ફળતો જનમ;
એવો  મંતર  મૂક્યો  છે  કોણે   હોઠમાં રે!

મારે  પીડાની  મા    કેવી   હાજરાહજૂર!
કાં  તો   ડૂમે  દેખાય  કાં તો  પોકમાં  રે!

જેની  નેજવાના  ગઢ  ઉપર  દેરી  બાંધી;
એની    ગરબી   ગવાય   રોમેરોમમાં  રે!

 – અશરફ ડબાવાલા

માધવ રામાનુજ

Comments Off on માધવ રામાનુજ

એક  એવું  ઘર  મળે  આ   વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.

એક  એવું   આંગણું  કે   જયાં  મને;
કોઈ  પણ  કારણ  વગર શૈશવ મળે!

એક  બસ એક  જ  મળે એવું  નગર;
ગમે   ત્યારે    અજાણ્યો    થઈ  શકું;

‘કેમ છો ?’ એવું   ય ના   ક્હેવું  પડે;
સાથ  એવો  પંથમાં  ભવભવ  મળે!

એ  એવી  હોય  મહેફિલ  જ્યાં  મને,
કોઈ  બોલાવે  નહિ  ને જઈ    શકું!

એક   ટહુકામાં    જ  આ   રૂંવે   રૂંવે,
પાનખરનાં આગમનનો  રવ   મળે!

તો   ય  તે   ના  રંજ  કૈં મનમાં  રહે-
અહીંથી  ઊભો  થાઉં  ને  મ્રુત્યું  મળે…

– માધવ રામાનુજ

દિનેશ ડોંગરે ‘નાદાન’

Comments Off on દિનેશ ડોંગરે ‘નાદાન’

ના   કશી    ઈચ્છા   હવે  અવઢવ   હવે
જીવતર    પણ   લાગતું   અભિનવ  હવે

આપણે પહોચ્યાં  છીએ એવા સ્થાન પર
પાછા    વળવાનું    નથી    સંભવ  હવે

આગમન   કોનું   થયું   છે    શી   ખબર
આંગણુંયે    થાય     છે     રવરવ   હવે

એ   હ્ર્દયમાં   આવી    બેસી   જાય  છે
એમનો    થાતો    નથી    પગરવ  હવે

મારા   માટે   તો    એ    શબ્દાતીત  છે
તું   જ   કંઈ   એના   વિશે  વર્ણવ   હવે

એ   જ   છે   ‘નાદાન’   મુકતિનો  મરમ
શેષ   ના   રહેશે   કશું     ભવભવ   હવે

– દિનેશ ડોંગરે ‘નાદાન’

સુરેન્દ્રસિંહ જાડેજા

Comments Off on સુરેન્દ્રસિંહ જાડેજા

આ  કિનારે  એ  કિનારે  હું   જ  છું
ચોખૂણે   ને   દિશ  ચારે  હું  જ  છું

સ્નાન  કરવું  હોય  તો  તું  આવને
સ્વર્ગ  છે ઝમઝમની ધારે હું જ છું

ફૂલ  બનવાની  તમન્ના   હોય  તો
બીજ થઈને આવ ક્યારે હું જ  છું

મૌનના પડઘા ય સાંભળવા  પડે
ને   પછી   જો   ૐ  કારે હું જ  છું

ના   પ્રતિક્ષા  કે   ટકોરાની   જરૂર
સાવ  ખુલ્લા  છે  ને દ્વારે  હું જ છુ

– સુરેન્દ્રસિંહ જાડેજા

Older Entries

@Amit Trivedi