કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઈ ના એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

-વેણીભાઈ પુરોહિત

 
સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય