ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં !
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં,
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?
 
– જવાહર બક્ષી
 
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ – આલાપ દેસાઈ