એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?
કોઈ લોચન ઢળ્યાં જમીન, કોઈ તન ને મન તલ્લીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

નિર્જન વનવગડાની વાટે
કોઈ વાદળ વરસ્યું ના વરસ્યું,
નીરભર સરવરિયાની  આરે
કોઈ ઝૂરે તરસ્યું ના તરસ્યું

એક તડપતી  મીન બીજું ઈન્દ્રધનુ રંગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

કોઈ રસભર સારસ જોડી
સંગે કરતી દોડાદોડી
કોઈ ક્રૂર પારધી તીરે
એને  રુધિર રંગે  દીધી તોડી

એક બન્યું જ્યાં લીન ત્યાં બીજું બન્યું વિલીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

સ્વરઃ કૃષાનુ   મજુમુદાર 
રચનાઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ