મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સોગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાતો
ખાલીખમ શ્રીફળની કાચલી.
જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.
મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

– હરીશ મિનાશ્રુ

સ્વર: કવિતા કૃષ્ણમૂર્તિ
સ્વરાંકન : દક્ષેશ ધૃવ