ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર
Jan 07
ગીત Comments Off on ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર

અનંત વ્યાસ
ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર,
અને ઉપરથી ગોપીઓ ને રાધા..
અહીં મારે તો જીવવાના વાંધા…..
આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ ?
ભાંભરડા દેતી આ ભૂખી ઈચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ ?
આયખે વલોવાતાં એક એક દૂહાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા….
પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ? એનું કારણ એ રાજાની રાણી
નરે ના કેમ ચડી આછેરા જીવતરની માંગેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં યંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા ?
અહીં મારે તો જીવવાના વાંધા…
ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા.…
-કૃષ્ણ દવે
સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ