મહાભારતના પાત્રો
કવિ શ્રી કૃષ્ણ દવે ની કલમે:

 
 
નહીંતર એવી કઈ મા છે
જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ
સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.
– કુંતી

સો સો હાથીનું બળ
પણ લાચાર
બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી
આ પળ ઉતર્યાની માથાકૂટ છે.
– ભીમ

ખેંચાતા વસ્ત્રોના કંઠે
માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ,
એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.
– દ્રૌપદી

અંગૂઠો ખોયાનો
અમને રંજ હજુયે
છે જ નહિં
બસ
ખોટી મૂરત સામે
સાચા થઈ ઊભર્યાની
માથાકૂટ છે.
– એકલવ્ય

જે કરવાનાં હતાં જ નહી
એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને
મુકુટ ધર્યાની માથાકૂટ છે.
–કૃષ્ણ

મૃત્યુ સામે “કપટ” હારતુ લાગ્યું
ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ
અમારો જીવ
ઠર્યાની માથાકૂટ છે.
– શકુનિ

છેક સાતમા કોઠામાં
ઘેરાયેલા સાહસને
લાગ્યું,
મા ના કોઠામાંથી
હોંકારા ઉચર્યાની
માથાકૂટ છે.
–અભિમન્યુ

રોજ પ્રતિજ્ઞાની શૈયા
પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ
નહી મર્યાની માથાકૂટ છે.
– ભીષ્મ

નથી જાણતા એમ નથી
પણ કોઈ પૂછે
તો
એ બોલે છે,
જીવન બીજું કશું નથી,
આ ભેદ ભર્યાની માથાકૂટ છે.
– સહદેવ

કવચ અને કુંડળની
સાથે જીવ ઉતરડી પણ
આપું કે ?
હોવું એ તો અકસ્માત છે,
તેજ ખર્યાની માથાકૂટ છે.
– કર્ણ

આંખો પર પાટા બાંધો
એ દ્રષ્ટિનું અપમાન જ છે
ને
આમ જુઓ તો હકીકતોથી
રોજ ડર્યાની માથાકૂટ છે.
– ગાંધારી

સમજણની નજરેયથી
ના સમજે તો
સમજી લેવાનું
પુત્રમોહમાં
આંખોએ અંધાર
વર્યાની માથાકૂટ છે.
–ધૃતરાષ્ટ્ર
 
-કૃષ્ણ દવે