અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકાન : અમર ભટ્ટ