મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
Jul 07
ગઝલ Comments Off on મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.
કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.
-હેમેન શાહ
(’લાખ ટુકડા કાચના’)
સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય અને પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય