વાતે વાતે તને વાંકું પડયું ને,
મેં વાતોની કુંજગલી છોડી દીધી…

શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી…

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા,
પણ અડકો તો ભોમ સાવ કોરી…

તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ,
હોઠ સમી અમરત કટોરી…

પંખીની પાંખમહીં પીંછુ રડયું,
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી…

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ,
કે અણધાર્યો તૂટી પડયો સેતુ…

પાસે રહીને મને લાગે છે કેમ હવે,
કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું,
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી…

– જગદીશ જોષી

સ્વરઃ પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : અમિત ન. ત્રિવેદી ( Ex Siemens )