તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ

Comments Off on તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે
લે મૂક, હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

-હેમેન શાહ

સ્વર : પાર્થિવ ગોહિલ

બહાર હું નીકળ્યો

Comments Off on બહાર હું નીકળ્યો

બહાર હું નીકળ્યો અને એની ફિકર લાગી મને,
મારી મંઝિલ ત્યારથી બસ મારું ઘર લાગી મને.

જો કે તારા સ્મિતની જેવી સહર લાગી મને,
કિન્તુ મારી રાતથી એ બેખબર લાગી મને,

આંખ મળતાં પ્રેમમાં આવી દશા થઈ જાય કંઈ?
એમ લાગે છે કે કોઈની નજર લાગી મને..

એ અનુભવ માટે મારે શી છે મરવાની જરૂર ?’
જીવતાં પણ સૃષ્ટિ આ મારા વગર લાગી મને.

હું વિખૂટો થઈને પણ તારી જ સંગાથે હતો.
મારા ખુદમાં પણ સતત મારી કસર લાગી મને.

બસ પ્રતીક્ષામાં સતત ઊભા જ રહેવાનું હતું,
પ્રેમ પંથે એ જ તો કપરી સફર લાગી મને.

હું ય જીવું છું વસંત ! એમ જ હસીને જિંદગી
વે ય ફૂલોથી સજેલી પાનખર લાગી મને.

એટલા ઝડપી રીતે એના દિવસ વીતી ગયા,
જિન્દગી પોતે જ આખી એક સબર લાગી મને.

મારી સારપ શું હવે આથી વધુ સાબિત કરુ ?
કઈ એ નિંદા કરી એ પણ કદર લાગી મને.

મે પ્રસાર્યા હાથ પડતીમાં ફક્ત એના તરફ,
એક ખુદાની જાત બસ સૌથી ઉપર લાગી મને.

એ જ તો મારા હૃદયના ઘાવ થઈ ગઈ છે હવે,
એક વખતે જે તારી આંખોની ટસર લાગી મને.

મનને મારીને જગતમાં જયારથી જીવવું પડયું,
ત્યારથી કાયા જ ખુદ મારી કબર લાગી મને.

મોત મેં બેફામ માગ્યું કે મને મળશે કદી.
એ દુઆ એવી હતી જેમાં અસર લાગી મને.

-બરકત વીરાણી ‘બેફામ’

સ્વર : રૂપકુમાર રાઠોડ

સોના વાટકડી જેવું આ કાળજું

Comments Off on સોના વાટકડી જેવું આ કાળજું

 

:

 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની વ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટકયું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી,
કયારનો ઉજાગરાનો દીવો બળે છે :
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

-પન્ના નાયક

સ્વર : પૌરવી દેસાઈ

@Amit Trivedi