:

 

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યાં કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઊડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની વ્હાર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટકયું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી,
કયારનો ઉજાગરાનો દીવો બળે છે :
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.

-પન્ના નાયક

સ્વર : પૌરવી દેસાઈ