પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
સંત સહુને મુક્તિ વહેંચે, નહીં વાઘાં, નહીં ડગલા

કેવળ હસ્તી, ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
નિજમાં નિજની મબલખ મસ્તી, છતાં ઉન્મની દશા

ટેવે સૌને સરખાં, એને નહીં અરિ, નહીં સગલાં
આજ કોઈને ફળિયે, કોલે કોઈ અરણ્યે જડે

પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે
દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં

~ રમેશ પારેખ

સ્વર: સુરેશ જોશી
સ્વરાંકન:સુરેશ જોશી

કાવ્યસંગ્રહઃ કાળ સાચવે પગલાં