લલિત ત્રિવેદી
Oct 05
ગઝલ Comments Off on લલિત ત્રિવેદી
કિયે તે બારણેથી ઘરમાં પધાર્યા રાણી – ?
– અમે તો ઓટલે બેઠા’તા રાખી અંધાણી
ગયા તો લઈને ગયા આગવી સમજ શાણી
ધર્યો જો હોત ખોબલો તરી શકત પાણી
રદીફ કાફિયાના ઢોલ છે નગારાં છે …
ગઝલ તો ખૂણામાં બેઠી છે ઘૂમટો તાણી !
સુખી સુખી અને સંપન્ન કુટુંબ લાગે છે
હસીખુશીથી પીએ – ખાય ધૂળ ને ધાણી !
છે શૂરવીર વટાવે જે શ્હેરની સડકો
અને કરે જે ઘરમાં આવી વ્હાલની લ્હાણી !
લગાડો લાહય અને સજ્જ થઈ સુણો, મિત્રો
કવિના શબ્દમાંથી થાય છે નભોવાણી
હતુ શું એવું કે ઝિલાઈ નહિ અમારાથી –
– કદીક પાછલા પ્હોરે પ્રગટ થતી વાણી ..
– લલિત ત્રિવેદી